47 - કડવું ૩૫ મું - સત્સંગના ફળનું વર્ણન / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
સંત સેવે તે સર્વ સુખ પામેજી, મન ન લાગે બીજે ભામેજી;
જન્મમરણ ને સુખદુઃખ વામેજી,જેમ જલ ઢળી આવે નીચે ખામેજી. ૧
પૂર્વછાયા
જેમ નીચી ભોમે જલ ઢળી આવે, તિહાં ખામામાં તે રહે ભર્યું;
તેમ રામ હૃદયમાંહે વસે, ગુરુ ગોવિંદ ત્યાં ઘર કર્યું. ૧
જેમ ભક્તને ભગવાન વાહલા, તેમ ભક્ત વાહલા ભગવાનને;
અંતર માંહેલો આશય જાણી, શકે ન મૂકી ધામને. ૨
જેવા ભક્તને ભગવાન દુર્લભ, એવા ભક્ત દુર્લભ રામને;
ભક્ત બીજા છે ઘણા, ઈચ્છે ધર્મ-અર્થ-મોક્ષ-કામને. ૩
સકામે સ્વામીને ભજે,આશ્ચર્ય એહનું નહિ કશું;
નિષ્કામ વાલા નાથને, હેત તેહનું મન વસ્યું. ૪
અણલિંગી ની ભક્તિ બ્યાસિમી, કોઇક જાણે તે કરી;
ત્યાં ધ્યેય-ધાતાનું કારણ ન રહે, તે જાણે જેણે આચરી. ૫
ભાઇ સંત સંગ પ્રતાપ મોટો, રસના તે બાપડી શું કહે;
હેહને વિતશે તે જાણશે, અખો તો એટલું કહે. ૬
જેહને કૃપાનિધાન કૃપા કરે, તે સંતને સદ્ગુરુ મળે;
તે સદ્ગુરુ મળતે પાર પામે, જીવ બ્રહ્મમાંહે ભળે. ૭
જીવ બ્રહ્મમાં ભળ્યાનો, અખેગીતામાં ભેદ છે;
એ અનુભવતાં અદ્વૈત થઇએ, અવિચલ વાણી વેદ છે. ૮
કાંઈ ક્લેશ કીધા વિના, કૃષ્ણમાં તે જન ભળે;
એ ગીતાનો ભેદ સમજે, તે નર જીવ તતક્ષણ ટળે. ૯
કહે અખો એ ગીતાકેરી, ગમ્ય થાએ તે જંતને;
તેહને રામ હૃદયમાં રાખે, પ્રતાપ હરિ-ગુરુ-સંતને. ૧૦
________________________________________
૧ ભામેજી = મિથ્યા વાતમાં.
૨ વામેજી = નાશ કરે.
૩ ખામેજી = ખામણામાં.
૪ ભોમે = ભૂમિપર.
૫ બ્યાસિમી = ત્રણ ગુણ વિનાની -નિર્ગુણ.
૨ વામેજી = નાશ કરે.
૩ ખામેજી = ખામણામાં.
૪ ભોમે = ભૂમિપર.
૫ બ્યાસિમી = ત્રણ ગુણ વિનાની -નિર્ગુણ.
0 comments
Leave comment