37 - કડવું ૨૫ મું - પરબ્રહ્મનો ભેદ / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
હવે કહું મોટો પરબ્રહ્મ ભેદજી, જેણે કરી હોય દ્વૈતનો ઉચ્છેદજી;
જેને કહે અગમ અગોચર વેદજી, તે પદ જાણો સ્વસંવેદજી. ૧
પૂર્વછાયા
સ્વસંવેદ તે પદ સદા, આપેં લહે તે આપને;
$$ ધુંધવાતો અગ્નિ અચાનક, થાય શિખા તેજ તાપને. ૧
વને જોત્ય જ્વાળા અતિઘણી, દીસે જાજુલ્યમાન;
ફટકીને થયો ફરફરો, તેણે કાઢ્યું રૂપ નિદાન. ૨
પરબ્રહ્મ વહનિ એમ જાણો, ઘટઘટ રહ્યા સમાય;
જેમ છે કાષ્ટ પાષાણમાંય, તે દેહસાથે થ્યો જાય. ૩
ધુંધવાતો ધોખે ભર્યો, તે શૂન્યવાદીનો વાદ;
ધૂમ્ર ભર્યો અતિ ધૂખલો, તે ચાલ્યો જાય અનાદ્ય. ૪
તે કાષ્ઠ નોહે કશાનું નોહે, કરે તે ઘોર અંધાર;
દારૂનાં દલથકી ટળ્યો, અને ઝળક્યો નહિ ઝીતકાર. ૫
તેમ શૂન્યવાદીને સત્તા ખરી, પણ આતમ નહિં ઉદ્યોત;
કથે પણ તેહનો ક્લેશ ન ટલે, જેહવી ચિત્રામણની જ્યોત. ૬
જેમ ચિત્રદીપ દીસવા લાગે, પણ અજવાળું નવ થાય;
તેમ શૂન્યવાદી સર્વનાશ કહે, પણ મૂલ-મહિમા ન પ્રીછાય. ૭
તે પ્રપંચને મિથ્યા કહે, પરમાત્માને કહે નથી;
કર્મ ધર્મને તે પરઠે,કહે જગત સર્વે શૂન્યથી. ૮
કહે શૂન્ય ઉપજે શૂન્યે સમાયે, શૂન્યમાંહે સહુ સ્થિતિ કરે;
શૂન્યમાં આશય છે તેહનું, કહે મુઓ ફરી નહીં અવતરે. ૯
કહે અખો શૂન્યવાદી, ન પામે મૂલ-તંતને;
પ્રભુ પરમારથ તેહજ પામે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
૧. જાજુલ્યમાન = પ્રકાશમા
૨. ફટકીને = તડ યડ કરીને
૩. ફરફરો = વધારે ફેલાવાવાળો
૪. નિદાન = અંતે
૫. ઘટઘટ = શરીર શરીરમાં
૬. જાય = જેમ લાકડામાં ને પથ્થરમાં તેની ઉત્પત્તિની સાથે અગ્નિ ઉપજેલો જણાય છે.
૭. ધોખે = ક્લેશે
૮. કશાનું = અગ્નિ
૯. ઝીતકાર = સ્પષ્ટપણે
૧૦. ઉદ્યોત = પ્રકાશ
૧૧. ચિત્રામણની = ચિત્રમાં આળેખેલી
૧૨. મૂલ-મહિમા = મૂળ વસ્તુનું સામર્થ્ય
0 comments
Leave comment