54 - શૂન્યને જો એકથી ભાગી શકો / ઉર્વીશ વસાવડા
શૂન્યને જો એકથી ભાગી શકો,
તો અનંતોને તમે પામી શકો.
લંબચોરસ બારીના માધ્યમ વડે,
ના તમે આકાશને માપી શકો.
ચાલતા રહેશો પરિઘ પર જો તમે,
કેન્દ્રબિન્દુ શી રીતે પામી શકો.
કોણ-માપક ના કદિ એનું મળે,
કે સંબંધોને તમે માપી શકો.
ક્ષ સમો અજ્ઞાત ને ચલ હોય જે,
તાગ એનો શી રીતે પામી શકો.
0 comments
Leave comment