6 - હરપળે સૌ ભાવની ને તાલની કોઈ ફિકર / હર્ષ બ્રહ્મભટ્ટ
હરપળે સૌ ભાવની ને તાલની કોઈ ફિકર,
માત્ર ન્હોતી મોતના કોઈ ખ્યાલની કોઈ ફિકર.
ચાલચલગત પર બીજાની ચાંપતી રાખી નજર,
કાશ રાખી હોત ખુદની ચાલની કોઈ ફિકર.
કોઈ અવગણના નથી પણ કોઈ સુખદુઃખમાં કદી,
કોઈ ક્યાં કરતુ જગતમાં ઢાલની કોઈ ફિકર.
કોઈ સંભાળ્યા કરે છે હર કદમ, હર શ્વાસ પર,
એટલે ન્હોતી કદીયે હાલની કોઈ ફિકર.
ઉડતાં-ગાતાં રહી ખપ પૂરતું ચણતા રહ્યા,
કોઈ પંખીને હતી ક્યાં કાલની કોઈ ફિકર.
0 comments
Leave comment