2 - એનો કૈં રસ્તો તું ચીંધ... / અનિલ વાળા


વાંસળીનાં સૂર શ્યામ દલડામાં પાડે રે વીંધ,
     એનો કૈં રસ્તો તું ચીંધ....

વૈદ્યો તેડાવ્યા તો વૈદ્યોએ કીધું કે,
    આ તો સાવ જુદો છે તાવ;
બાઈજીને પૂછ્યું તો બાઈજીએ કીધું :
    “વહુ, મોરપીંછાથી પંપાળો ઘાવ !”

રાત આખી સપનામાં થયા કરે ભજમન ગોવિંદ....
    એનો કૈં રસ્તો તું ચીંધ.....

મારું નસીબ ક્યાં એવું કે
    થઈ જાઉં દ્વારિકાની શેરીની ધૂળ;
એકેય કદંબ મારે આંગણે નથી
    એટલે કે હું ય છું કેવું ગોકુળ ?

યમુના બનીને મને પજવે છે પાણીનાં બુંદ....
    એનો કૈં રસ્તો તું ચીંધ....


0 comments


Leave comment