16 - મને ઓળખે ના.... / અનિલ વાળા
મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ...
તોય તને શાથી છે એનાં પર વ્હાલ ?
હું ઘરમાં ન હોઉં ત્યારે દીવાલો માંહ્યમાંહ્ય કરતી હશે જ કાનાફૂસી,
સમજાતું નથી મને મારાં આ મનમાં પણ શંકાની સોય કેમ ઘૂસી ?
તમાચો ચોડવાનું મન થઈ આવે છે પણ
એને ક્યાં હોય છે રે ગાલ ?
મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ....
ઊંઘી જો જાઉં તો એવું લાગે છે કે પંપાળી લે છે આ ભીંતોનાં હાથ,
વેદોમાં ક્યાંય એનો લખ્યો ઉપાય છે કે આવો જો હોય કો’ સંગાથ !
તને આવતો ન હોય જો વિશ્વાસ,
તો કર એક કામ, તું મારી સાથે ચાલ....
મને ઓળખે ન મારાં આ ઘરની દીવાલ....
0 comments
Leave comment