71 - તે છતાં 'હું કોણ છું ?’ એ પ્રશ્ન તો ઊભો જ છે / અનિલ વાળા


હું હવાની જેમ ચારેકોર લ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.
થાય મન તો હું વળી દરિયાય પ્હેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

લોક રાખે છે ઇનામો કેટલાં મારા ઉપર,
એ વાતની તમને કશી ક્યાં છે ખબર ?
શોધવું મુશ્કેલ છે મારું પગેરું,
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

જીવતામાં જીવ છું હું ને મરેલામાં મરણ
એવી જ છે કૈં વાયકા મારા વિશે,
ક્યાંય પણ મારું નથી એક્કેય દે’રું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગૂંચવીને વાતને છેવટ ઉકેલી નાખવી
એવી રમત ગમતી મને, ને એટલે –
આંધળે કૂટાય છે ક્યારેક બ્હેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

ગીતમાં હું લય બની લ્હેર્યા કરું છું,
ને ગઝલમાં ગાલગાગા ગાલગાગા ગાલગા,
વેદનાઓ પાઈને વૃક્ષો ઉછેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.

હું જ છું કે જે નશામાં ચૂર થઈને
છેક ઈશ્વરના ચરણ પાસે જતો ને આખરે,
કોઈની શ્રદ્ધા તણું શ્રીફળ વધેરું
તે છતાં ‘હું કોણ છું?’ એ પ્રશ્ન તો ઊભો જ છે.


0 comments


Leave comment