90 - એવુંય કારણ હોય છે / અનિલ વાળા
શબ્દથી જેને અડીને સ્નેહ સગપણ હોય છે,
આંખમાં એની સદાયે ઘીખતું રણ હોય છે.
હોય છે એવું જ એ દેખાડશે કાયમ બધું,
સત્યના પર્યાય શું પ્રત્યેક દર્પણ હોય છે.
માત્ર ખાલી હોય ખાલીપો સદા, કોણે કહ્યું ?
ત્રાજવું લઈ જોખતાં એ પાંચસો મણ હોય છે !
ચીડ મારાં પર મને શાથી ચડે છે, શું કહું ?
કોઈ કારણ હોય ના એવુંય કારણ હોય છે.
કૈં જ લેવાનું નથી આ જિંદગીમાં આપણે,
સર્વનું સ્મશાનમાં આ એક તારણ હોય છે.
0 comments
Leave comment