28 - પત્રમાં શું શું લખ્યું છે મેં નવું / ઉર્વીશ વસાવડા
પત્રમાં શું શું લખ્યું છે મેં નવું,
તું કહે તો કાનમાં આવી કહું.
જેમ માળી સાચવે છે ફૂલને,
એ રીતે મેં સાચવ્યું છે ઝાંઝવું.
કોઈ પાસે પથ્થરો ના હોય જ્યાં,
કાચનું ઘર ત્યાં બનાવીને રહું.
કેદ છું આ માનવીના દેહમાં,
હું પછી ઝરણાં સમું ક્યાંથી વહું ?
અર્થ મૃત્યુનો છે કેવળ એટલો,
બિંબનું દર્પણ તજી નીકળી જવું.
0 comments
Leave comment