22 - અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ? / અશરફ ડબાવાલા
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા ?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા ?
અમે શ્રધ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા;
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા ?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે;
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા ?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે
અને એમાં વળી તારા ગજાના વાંક શું ગણવા ?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા;
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા ?
0 comments
Leave comment