27 - ચાલે છે માત્ર સમય / પન્ના નાયક


ઘડિયાળના કાંટાની અણીઓને આધારે
ચાલનારા મનુષ્યને
ક્યાં ખબર હોય છે કે
ઘડિયાળ તો વંચક છે!
કાળનું ભક્ષક છે!
અને છતાંય
કાંટાના ધકેલાવાથી
એ આપણને સમજાવે છે કે
આપણો કેટલો સમય પસાર થઈ ગયો છે.
ઘડિયાળ તરફ નજર કરી
વીતી ગયેલા કાળને
મુઠ્ઠીમાં ન જકડી શકવાથી
બોલી ઊઠીએ છીએ
અરે, હવે તો સાંજ પડી ગઈ!
આપણે નિશ્ચિત કલાકે જ પહોંચીએ છીએ
યમરાજને દ્વારે
ભલેને
ઘરનું ઘડિયાળ
ભીંત પર લટક્યા કરતું હોય…
ચાલે છે માત્ર સમય:
આપણે તો એનાં પગલાં છીએ…


0 comments


Leave comment