3.12.2 - લક્ષ્મીરામને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ
તા. ૧૯ માર્ચ ૧૮૬૯
પ્રેમાળ ભાઈ લક્ષ્મીરામ,
તા. ૧૮ મીનો પોંહોંચો છે-વૈશાખ માસમાં તમારો આણી તરફ આવવાનો વિચાર છે તેથી હું ઘણો ખુશ થયો છઉં કે પ્રત્યક્ષ મળવું થશે-લાંબી વાત ઘણી ફુરસદ વના પત્રમાં લખાઈ શકતી નથી માટે તમારા સવાલનો જવાબ મળ્યા પછી જ દઈશ. જ્યાં સુધી લોક મારા સ્વભાવ ને મારી વૃત્તિથી અજાણ છે ને માત્ર બહારના પ્રસંગો ઉપરથી (અને તે વળી હૈયામેલ દ્વેષીઓએ પોતાના સ્વાર્થથી) જુદે જુદે રૂપકે દર્શાવ્યા હોય છે તારે મારે વિષે વિચાર બાંધશે તહાં સૂધી મારે કંઈ જ બોલવું નહીં એ મને વધારે સારૂં લાગે છે –
‘અંતે છે સતનો જસ, રણે રમ મ્હસ.’
મેં જે તમને કામ સોંપ્યું છે તે ફુરસદે જ કરવું-ઉતાવળ નથી. મારા નિબંધમાં જે બ્હારવટીયા લખ્યા છે તેની હકીકત પણ જોઈયે. હું થોડીક જાણું છું-પૂરેપૂરૂં જાણતો નથી-હથિયારોનાં નામ સાથે ચિત્ર મોકલશો તો તે બહુ જ સારૂં થશે.
કોઈ વંદો કોઈ નિંદો. હું મારૂં કામ મારી બુદ્ધિ પ્રમાણે ને શુદ્ધ અંત: કરણથી કર્યો જ જાઉં છું-મને મારી સરસ્વતીની રક્ષા છે ને તેથી હું દુર્જનની થોડી જ દરકાર કરૂં છઉં.
- લી. નર્મદાશંકરના આશીર્વાદ.
0 comments
Leave comment