3.12.3 - લક્ષ્મીરામને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ
સુરત, આમલીરાન,
તા. ૩ જી અક્ટોબર ૧૮૬૯.
તા. ૩ જી અક્ટોબર ૧૮૬૯.
ફક્કડ લક્ષ્મીરામ,
તમારો તા. ૨૪ મી આગષ્ટનો ને ભાદરવા વદ ૩ જનો એમ બે આવ્યો છે. હું-મોટમ આપું છઉં તેને તમે યોગ્ય નથી એમ તમે લખો છો તારે આજથી ઉપર પ્રમાણે નામ બદલું છું-ચ્હીડાશો નહીં-પણ હું પુછું, લોક મૈત્રિ મૈત્રિ કરે છે તે શું હશે વારૂં? એ વિષે તમે અનુભવમાં શું જોયું છે ને વિચારમાં શું નક્કી કર્યું છે તે અવકાશ મળેથી લખી મોકલાય તેવું કરી શકશો? તમારી કલમ લખાણમાં કેવી ફક્કડ ચાલે છે તે જોવાને ઈચ્છું છું.
હથીયારોની ઉતાવળ નથી-જૂની ગુજરાતી ભાષાના નાના મોટા ગ્રન્થ-પાનાનો સંગ્રહ તમારા જુનાગઢમાંથી મળી આવશે? મારો વિચાર આ છે કે આજથી સો ને પછી બસેં ને એમ ૧,000 વર્ષ ઉપર આપણી ભાષા કેમ કેમ બદલાતી ગઈ છે તે વિષે યથાસ્થિત જાણવું-તેમ નરસહીં મેહેતાની પહેલાં કોણ કોણ કવિયો છે તે સંબંધી પણ જાણવાનું છે-એ વિષય અવકાશે તમારા મિત્રમંડળમાં ચરચજો.-મારે ઉતાવળ નથી.
નાગરી ન્યાતના ભવાડા થાય છે તે જોઈને દલગીર છઉં. મારે વિષે મારી નાતમાં ઘરડાઓ-જુવાનોનો શો વિચાર છે તે લખશો.
જૈન નિબંધ લખવાનો મને અવકાશ નથી. ઝાંસીની રાણી અને લખનોરના (લખનૌના? સં.) નવાબ વિષે થોડીક પણ હકીકત આપો તો વળી લખવાનો વિચાર કરૂં-બને તો મોકલજો.
0 comments
Leave comment