3.13.2 - નાનાભાઈ રૂસ્તમજી રાણીનાને - ૨ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૬ ઠી જુલાઈ ૧૮૭૦

   પ્યારા નાનાભાઈ,
   બનાવો (માની લીધેલા સાચા ને માઠા) બને છે ખૂબી ને ખોડ કુદરતમાં નથી જ-દુનિયાદારીમાં છે. આફરીન છે કુદરતને કે મોટો ફિલસૂફ ને મોટો તપેસરી પોતાની ઊંચી અક્કલથી અને મન મારવાના મ્હાવરાથી ગમે તેટલો દાબ રાખે, પણ કુદરત આગળ તે હારી જાય છે. દુનિયાદારી-અક્કલ તથા મ્હાવરો એને પણ જસ છે કે જો કે આખરે તો કુદરતને જ તાબે થાય છે, તો પણ તે થોડી ઘણી મુદ્દત સુધી પોતાનું જોર કુદરતની ઉપર છે એમ દેખડાવે છે.

   ભાઈ, ન. ક., નું થોથું નીકળ્યાને ૩ વર્ષ થયાં. હજી પૂરેપૂરૂં બિલ મારાથી ચુકવાયું નથી – બહુ જ બળી બળી જાઉં છઉં. સમો બારીક જોવામાં આવે છે.
   એક દિવસ હું ભાઈ માણેકજી બરજોરજીને ઘેર ગયો હતો, ને વાતમાં તેણે કહ્યું કે, ‘યુનિયન ને સમાચાર જોડાયા પછી જેટલું ન.ક. નું કામ ચાલ્યું તેટલાં કામ સંબંધી મારૂં ને નાનાભાઈનું તમારી ઉપર જે માગણું નીકળે તેમાંથી હું મારી પોતીનું તો ચૂકવી દેવાને ઇચ્છું છું – જ્યારે આટલાં વરસ થયાં ને નિવેડો નથી આવતો ત્યારે ઠાલો ગુંચાડો શું કરવા રેવા દેવો જોઈએ, માટે નાનાભાઈને કહીને ન. ક. નું જેમ તેમ માંડી વાળો તો સારૂં.’ એ વાત હું તને કહેનાર હતો પણ જોગ ન આવ્યો. હવે એ સંબંધી તારો શો વિચાર છે? બે પ્રેસ જોડાયા પછી કેટલું કામ થયું છે ને માણેકજી કેટલાના હકદાર છે એ જો તું મને જણાવે તો તેટલી રકમને સારૂં હું ને માણેકજી ખાનગી સમજીએ, ને બાકી રહેલો યુનિયનનો અવેજ હું વ્યાજે આણીને અથવા ચોપડીઓ સસ્તે કહાડીને તને પૂરો કરી આપું – પણ પ્રથમ માણેકજીનો આંકડો મારે જાણવો જરૂર છે.

   તને મેં ક્યૂરેટર ઉપરનું રૂ. ૧૪૦ નું બિલ મોકલ્યું છે, તેનાં નાણાં તને પોતાં કે નહીં તે જણાવજે. જે પાંચસે ચોપડીયો તારે ત્યાં રહી છે, તેને પોણા પોણાનું પૂઠું બંધાવવાને સારૂં પોણી ચારસે જોઈએ તે હું તને બંધાઈનું બિલ ચૂકવતી વેળા ગમે ત્યાંથી પણ આણી મોકલાવીશ. થોડીએક કાઠીયાવાડથી આવનાર છે, ને થોડીએક કોઈના લેઈશ. ચોપડીયો બંધાતાં ઓછામાં ઓછો મહિનો દોઢ તો થશે જ; ને એની અંદર તો હું તને કકડે કકડે મોકલતો જઈશ. માટે બંધાવવા આપજે.

   ભાઈ, કોઈ પણ રીતે હવે ત્રણેક મહિનામાં થાથાનું શેવટ આણી આપ, બારીક વખત જોઉ ગભરાઉ છઉં. પ્રેસના બિલનો નિકાલ કર. વળી… માણેકજીનું મારૂં ખાનગી ખાતું રહ્યું તો ચિંતા નહીં. આનો જવાબ આપજે.
- લી. વખત જોઈ ગભરાતો નર્મદ.


0 comments


Leave comment