51 - કડવું ૩૯મું - સદ્ગુરુનું માહાત્મ્ય / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
સંત સયાણા મહાપદ જાણેજી, તે આપ ન દેખે અન્ય શું વખાણેજી
આપ અણચવ્યું તે પ્રમાણેજી, ગુણ-નિર્ગુણને ઉરમાં નાણેજી. ૧
પૂર્વછાયા.
ગુણ નિર્ગુણ કાંઈએ નથી, સમતત્ત્વ સમજ્યા સહી;
પ્રાયે નહીં તેહને પરાભવ શ્યાનો, રજ્જુ નહીં તો શ્યો અહિ. ૧
એતો અણછતાને અણછતું, ભાસ્યુંતું ભરમે કરી;
તે યથારથ જેમ તેમ થયો, પ્રાયે જેમ છે તેમ હરિ. ૨
રિપચકેરૂં પેખવું, તે મરીચિજલવત સદા;
તે ઉલેચે ઓછું ન થાય, સમજે શ્રમ ગયો તદા. ૩
સમજે સાધન થાએ સઘળાં, પાર આવે પંથનો;
જેમ રંચકવહ્નિ વન દહે, તેમ મહાવિચાર મહંતનો. ૪
એ અંધધંધ ત્યારે ટળે, જ્યારે ગુરુગમ હોએ ખરી;
બ્રહ્મવેતા મળે જ્યારે, ત્યારે જ મન બેસે ઠરી. ૫
સદ્ગુરુ વિના બહુ મળે કાચા, આપ ઉધોત થયા વિના;
સંગ-સંગ પ્રતાપ મોટો, અવયવ ફરી જાય જંતના. ૬
જેમ શરદકાલે અંબર ઓપે, નીર નિર્મળ હોય ઘણું;
સદ્ગુરુ સંત પ્રતાપ પાયે, એહવું કરે મન જંતતણું. ૭
ભવદુઃખ વામે મહા સુખ પામે, આંતરથી આમય ટળે;
જીવશિવ તે એમ હોય, જેમ સરિતા સાગરમાં ભળે. ૮
નારનારાયણ એક વર્તે, વંદનીય તે નર સદા;
દુસ્તર તારક નાવ હરિજન, નિઃકારણ માંહે મુદા. ૯
કહે અખો સુખે હોય, યોગક્ષેમ મહંતને;
દેહધારી સરખા દીસે, પણ રહે પદ અનંતને. ૧૦
= = =
1. રજ્જુ = દોરડી.
2. અહિ = સાપ.
1. રજ્જુ = દોરડી.
2. અહિ = સાપ.
3. મરીચિજલવત = ઝાંઝવા જેવું.
4. તદા = ત્યારે.
5. અંધધંધ = ઘાટું અજ્ઞાન.
6. ઉધોત = જ્ઞાની.
7. અંબર = આકાશ.
8. આમય = દોષ.
9. સરિતા = નદી.
10. દુસ્તર = દુઃખથી તરી શકાય તેવો સંસાર.
11. તારક = તારનાર.
12. મુદા = પ્રસન્ન.
13. યોગક્ષેમ = અપ્રાપ્તની પ્રાપ્તિ ને પ્રાપ્તનું રક્ષણ.
0 comments
Leave comment