9 - કડવુ ૯ મું - વૈરાગ્યાર્તિ તીવ્રતાનું રૂપ / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
નરને ઉપજે દૃઢ વૈરાગજી, આરત કેરી મનવિષે આગજી;
તેહેના ટળે દ્વેષ ને રાગજી, નહી આતુરતા કહેવા લાગજી. ૧
પૂર્વછાયા
આતુરતા મન અતિઘણી, જેમ મીન વિછડ્યું નીરથી,
અજ્ઞાન શિંચાણો લેઇ ચઢ્યો, તેણે દૂર નાખ્યું તીરથી. ૧
તડફડે તલપે અતિઘણૂં, વિરહ-સૂરજ શિર તપે;
સંસારરુપી ભૂમિ તાતી, નીર નીર અહોનિશ જપે. ૨
કાલશિંચાણો શિર ભમે, તે તેહની દૃષ્ટેં પડે;
નીર-વોહોણૂં વપુ દાઝે,ઝાળ લાગે ને તડઅડે. ૩
નયણેં તે નીર દેખે નહીં, કળકળે કાળજ બળે;
પેટ પૂંઠે પાસુ વાળે, જેમ પડે તેમ દાઝે જળેં. ૪
કામધેનુના પયવિષે, જો કોઇ મૂકે તેહનેં;
તોયે આપદા નટલી મકરનેં, વારી વહાલું જેહને. ૫
વૈરાગ ઘણ ઉપરનો શરીરે, તેણે કાલજ કોર્યું માંહેથી,
વ્રેહેતણો તાપ તપે તનમાં, તે નર જીવે ક્યાંહેથી ૬
નાનાવિધનાં ભક્ષ ભોજન, તેને દીઠાં નવ ગમે;
સંસારરૂપી ભૂખ ભાગી; ઉભા તાતાં તન ભમે. ૭
નિર્વેદ ઉપનો નરવિષે, તે જીવપણે જીવે નહીં;
તે મરી જીવે મનવડે, જેમ કીટ ભમરી હોયે સહી. ૮
જેમ ઉધઇ ખાતે કાષ્ઠને, તેનું કૃષ્ણાગર થૈ પરવરે;
તેમ વિરહ વૈરાગ્ય જેહનેં ભખે, તે નર હરિ થાએ સરે. ૯
કહે અખો સહુકો સુણો, નિર્વેદ ટાળે જંતને;
જે નરને ઉપજે ચેતના, તે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
***
શબ્દાર્થ
૧. આરત = પરમાત્માની શીઘ્ર પ્રાપ્તિની ઇચ્છા
૨. શિંચાણો = સકરો
૩. તાતી = તપેલી
૪. પાસુ = પડખું
૫. પયવિષે = દૂધમાં
૬. મકરનેં = માછલાને
૭. ઘણ = લાકડામાં થનારો કીડો.
૮. નિર્વેદ = વૈરાગ્ય
૯. કૃષ્ણાગર = કાળો અગર
૧૦. ચેતના = સમજ
0 comments
Leave comment