38 - કડવું ૨૬ મું - શૂન્યવાદીનો વિતંડાવાદ / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
હવે કહું અધમ એ શૂન્યવાદીજી, જેને શૂન્યની શુધ્ધ ન લાધીજી;
પ્રપંચ ન ટળ્યો નિંદા વાધીજી, તેણે મિથ્યા બુધ્ધિ સાધીજી. ૧
પૂર્વછાયા
તે પ્રપંચને મિથ્યા કહે, પણ હૃદે જગત સાચું સહી;
અધમ નામ તે માટે એહનું, જે શૂન્યવાદીએ પૂરા નહિ. ૧
તે કરતવ્યથી નવ ઓસરે, ઉત્તમ તજે ને મધ્યમ ભજે;
દેહઆસક્ત રહે સદા, સુખદુઃખ પામે જયવિજે. ૨
જાગતે જગતના દોષ દેખે, પોતાપ્રતે તે વસે;
અજ્ઞાનને તે જ્ઞાન માને, ઈંદ્રિના સુખને ધસે. ૩
ક્યારે કહે એ આતમા, ક્યારે કહે એ શૂન્ય છે;
ક્યારે એ જગત સાચું, ક્યારે કહે એ મુન્ય છે. ૪
વાદ કરે એ તે સહુજ સાથે, નિંદે પણ લક્ષ નવ લહે;
બ્રહ્મવિદ્યાનો ભેદ ન જાણે,વેદ વિટલ તેહને કહે. ૫
નાસ્તિ કહે નારાયણને, પણ પ્રપંચ ન છુટે મનથી;
સંસારનાં સુખ અતિ વલ્લભ, મન ગયું પાપપુન્યથી. ૬
નમે નહિ મહાપુરૂષને, દોષ દીએ છે અણછતાં;
અજ્ઞાનને આગળ કરિને, પ્રબોધે પોતે હુંતા. ૭
આચાર્ય થઇને અન્યને, વાત કહે તે નાસ્ત્યની;
ભાવભરોસો નહીં જ દેહનો, જુગત ન સમઝે આસત્યની. ૮
અધમ શૂન્યવાદીનાં એજ લક્ષણ, તે શૂન્યવાદી પૂરા નહી;
ખરા શૂન્યવાદી તેહને કહીએ, વસ્તુવિશ્વ બે ન કરે સહી. ૯
કહે અખો સહુકો સુણો, એ સમજે સુખ બહુ જંતને;
સમી સમજણ તેહ સમજે, જે સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
૧. ઓસરે = પાછળ હઠે
૨. ભજે = સેવે
૩. દેહઆસક્ત = શરીરમાં અતિ પ્રીતિવાળા
૪. જયવિજે = જય ને પરાજયમાં
૫. જાગતે = યુક્તિથી.
૬. પોતાપ્રતે = પોતાનામાં
૭. ધસે = દોડે
૮. મુન્ય = ન કહી શકાય એવું
૯. વિટલ = ઠગ
૧૦. નાસ્તિ = નથી
૧૧. પ્રપંચ = જગત
૧૨. વલ્લભ = વહાલાં
૧૩. અણછતાં = ન હોય એવા
૧૪. હુંતા = ૧૪ હુંપણા વડે
૧૫. નાસ્ત્યની = નાસ્તિકની
૧૬. સહી = સત્ય
0 comments
Leave comment