58 - ઉન્માદ ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ? – કહો / મુકુલ ચોકસી


ઉન્માદ ! કાવ્યમાં ક્યાં રહ્યો કોઈ ડર ? – કહો,
વાત આપણી જ આપણા ઉલ્લેખ વગર કહો,

ના વસ્તુલક્ષી થઈ કે નહીં આત્મલક્ષી થઈ,
આજે પદાર્થમાત્રથી થઈ જઈને પર, કહો.

ખડિયા ભલે સુકાય...ને તૂટે ભલે આ ટાંક,
ને થાય કોઈને ન ભલે કંઈ અસર, કહો.

રણ પર જો બારે મેહ ના વરસે તો કંઈ નહીં,
ટીપાંથી યે અમે તો થશું તરબતર, કહો.

આજે અમે અટૂલા છીએ એટલી હદે,
કોપાયમાન થઈએ તો કોના ઉપર, કહો ?

ઉન્માદ ! ફેર સૂકી હથેળીને શો પડે ?
સૂકી હથેળીને જો તમે માનસર કહો !



0 comments


Leave comment