29 - અંધારું ગજાદાર નથી / ગૌરાંગ ઠાકર
આપણી રાતનું અંધારું ગજાદાર નથી,
દોસ્ત અજવાળું થવામાં હવે બહુ વાર નથી.
લ્યો, ફરીથી આ તમારાં વિનાની સાંજ પડી,
એક પણ પળ હવે આગળ જવા તૈયાર નથી.
એ બધું સીધું તો ક્યારેય તને કૈં ન લખે,
એ ગઝલકાર છે બસ કોઈ અરજદાર નથી.
કોઈ બીજી રીતે સમજાવો તો કૈં વાત બને,
સાવ એવું નથી કે આપના પર પ્યાર નથી.
પાનખર વૃક્ષને નિશ્ચિત સમય પર મળતી,
માત્ર માણસને દુઃખોનો અહીં અણસાર નથી.
જીવવાનો અહીં સીધો ને સરળ માર્ગ કહું ?
બસ ગજાથી વધુ સુખ ધારવામાં સાર નથી.
0 comments
Leave comment