51 - મેરમજીના મોલે / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


મેરજીના મોલે રે
    મૂંઝાઈ મરીએ અબોલ.

જનમ-મરણની ઠાલી ઠેશથી
    જીવનના હિંડોલે
શ્વાસોચ્છવાસની ચડ-ઊતરમાં
    જીવ ચડ્યો છે ઝોલે :
    મેરજીના મોલે રે
    મૂંઝાઈ મરીએ અબોલ.

મેરમજીની મીઠપ કેવી,
    ખલક ખજાના ખોલે;
વ્હાલમજીના વેણ વિના એ તો
    તણખલાને તોલે :
    મેરજીના મોલે રે
    મૂંઝાઈ મરીએ અબોલ.

કોઈક વેળા કોઈ અગોચર
    સ્પરશે ભાલ કપોલે;
હરખે ઘેલું હૈયું નાચે
    હેત પ્રીતના કોલે :
    મેરજીના મોલે રે
    મૂંઝાઈ મરીએ અબોલ.


0 comments


Leave comment