11 - પગલાં તળાવમાં / અશોક ચાવડા 'બેદિલ'
થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;
લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.
કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા ઃ
ભૂલી ગયું છે કોણ આ પગલાં તળાવમાં?
બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,
છલકાયું ત્યારે નીર આ આંખોની વાવમાં.
મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,
ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.
'બેદિલ' અરીસો આટલું કહીને ફૂટી ગયો,
મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.
0 comments
Leave comment