55 - ભગતિના પથ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
સીધા તીરે જુઓ વેધ વીંધ્યા રે,
મીરાંબાઈ કહે છે,
ભગતિના પથ હોય સીધા.
તનડુ તપાવે ન્હૈં એ વગડો ન વાસે;
મનડુ ન રુંધે તોય સીધ્યા રે :
મીરાંબાઈ કહે છે,
ભગતિના પથ હોય સીધા.
ગુરુ શું બતાવે, નિયતિ નિયમે ન આવે;
ભીતર ભભૂકે એણે ચીંધ્યા રે :
મીરાંબાઈ કહે છે,
ભગતિના પથ હોય સીધા.
લગન લગી કે લાલો નયણામાં આવે;
નયણા બતાવે એ પથ લીધા રે :
મીરાંબાઈ કહે છે,
ભગતિના પથ હોય સીધા.
ગરલ ગણી જે રાણે અમીફૂપ ભેજ્યા;
સરોદે એ ટીપાં જૂજ પીધાં રે :
મીરાંબાઈ કહે છે,
ભગતિના પથ હોય સીધા.
0 comments
Leave comment