1.8 - વરતારા / મહેન્દ્ર જોશી
વરતારા કોઈ હવે કળજુગના ભાખતા નથી
ખાલી તે કુંજામાં કાંકરાઓ નાખતા નથી...
ખિસકોલી સમદરને સાંધે તો
કોણ એની શક્તિને પૂજશે?
કોણ હવે ભક્તિના આંસુને
નિર્મળ આકાશ કહી લૂછશે?
કોઈ પૂછો કે રામ હવે એઠાં તે બોર કેમ ચાખતા નથી?
વરતારા કોઈ હવે કળજુગના ભાખતા નથી
કોણ ભલા પંડ્યની પન્નઈને
કાંઠે મૂકીને ઝટ આવશે
કોણ ભલા પીળા પવન કાજ
ઓસડિયાં પહાડ ભરી લાવશે
વનમાં વીંઝય એવી વાતું કે મનનાં કમાડ કોઈ વાખતાં નથી
વરતારા કોઈ હવે કળજુગના ભાખતા નથી ......
૫/૭/૦૦
0 comments
Leave comment