71 - પલનો નહીં વિશ્રામ / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
પથિકને પલનો નહીં વિશ્રામ.
મર તન ઓથે રહે અઢેલ્યું,
મન ધપતું અવિરામ.
પથિકને પલનો નહીં વિશ્રામ.
દૂરદૂર ધ્રુવતારો,
એ જ લક્ષય, વળી એ જ સહારો :
એ પ્રતિ મીટ રહે મંડાઈ
અવિરત આઠૉ જામ. -
પથિકને પલનો નહીં વિશ્રામ.
કંટક કેડી, ફૂલ પથારી,
વિષમ કશું નહીં, નહીં લવ યારી;
ચિત્કારે ચિત, હસે હૈયું, પણ -
મન નિર્મમ નિષ્કામ, -
પથિકને પલનો નહીં વિશ્રામ.
આશ નિરાશે
ઊંચે શ્વાસે
લખલખમાં એક અલખ ઉપાસે;
ઉપાસના કહો, યાત્રા કહો, કહો
પંથ, કહો હરિનામ. -
પથિકને પલનો નહીં વિશ્રામ.
0 comments
Leave comment