80 - આછરવા દે નીર / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


માનસરોવર મેહુલે છલક્યું,
      એ છલકયું ચારે તીર;
     મોતીડાં ચણવા થા ન અધીર,
     હંસ, એનાં આછરવા દે નીર.

ઠારવા કેરું ઠામ ભલે એ તારું,
    તુંય પિયાસી ચિર;
અંતરિયું પણ ઊકળી હાલ્યે
    ધારણ કરવી ધીર : -
    મોતીડાં ચણવા થા ન અધીર,
    હંસ, એનાં આછરવા દે નીર.

ગિરિવર કેરી ગોદથી નીતર્યાં
    નરવાં નિર્મળ નીર;
આજ અષાડની અનગળ ધારે
    મેલાં થયાં મલીર : -
    મોતીડાં ચણવા થા ન અધીર,
    હંસ, એનાં આછરવા દે નીર.

પર હશે એ તો પળમાં જાશે,
    થાશે નિજનાં થીર;
યુગયુગથી બેલી, ગાંઠ બંધાઈ, દોય -
    આતમના છો અમીર : -
    મોતીડાં ચણવા થા ન અધીર,
    હંસ, એનાં આછરવા દે નીર.

આભ ઊઘડશે ને સૂરજ તપશે,
    તગશે હૈયા હીર;
ગિરિ કૈલાસની છાંય પડશે, ત્યારે
    હોંશે નમાવજે શિર : -
     મોતીડાં ચણવા થા ન અધીર,
    હંસ, એનાં આછરવા દે નીર.


0 comments


Leave comment