25 - અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠુંઠ કીધું / મનોજ ખંડેરિયા


અમીદ્રષ્ટિથી લીલુંછમ ઠુંઠ કીધું
તમે શુષ્ક ગોકુળને વૈકુંઠ કીધું

સમર્પિત તને થઈ ગયા કોરે કાગળ,
મતું માર્યું, લે ચિહ્ન અંગૂઠ કીધું !

ખરચતાં નથી નામનું નાણું ખૂટ્યું ;
છતાં કેમ તેં સાચનું જૂઠ કીધું

સવાયું મળે મૌનથી, બોલ્યે બમણું,
તને ગાઈ મેં એકનું ઊંઠ કીધું

જનમ ને ગઝલ દઈ ને નરસિંહ-ભોમે,
ઊંચું સ્થાન મારું તેમ બે મૂઠ કીધું


0 comments


Leave comment