81 - અશ્રુઓની હારમાળા થાય છે / દિનેશ કાનાણી


અશ્રુઓની હારમાળા થાય છે
ને પછીથી ફંડફાળા થાય છે !

ક્યાંક સાંજે અલવિદા કહેવાય છે
સાંજ વેળા ક્યાંક માળા થાય છે

સંત યા શેતાન કોઈ આવશે
માર્ગ પાછા ફૂલવાળા થાય છે

દ્વાર પરના કોઈ તોરણ થાય, ને
કોઈ સાંકળ પરના તાળા થાય છે

સૂર્યને ઉજળો કરીને આખરે
હાથ સૌના સાંજે કાળા થાય છે !


0 comments


Leave comment