1.44 - શું થશે ? / હર્ષદ ત્રિવેદી
વાંસવનમાં મોરલા ગ્હેકી જશે,
ને તો પછી આ ટોડલાનું શું થશે ?
સૂર્યને સ્પર્શે હવા જો ઓગળે,
તો વિસ્તરેલી આ ક્ષણોનું શું થશે ?
આભ-ધરતી એક થઈ નાચે ભલે,
પણ ફાગણે ના ફાગ ફાલે, શું થશે?
વારતા પૂરી હજુ સૂણી નથી
જો અંત ધાર્યો આવશે તો શું થશે ?
આંખથી અંતર લગી જ હોય છે,
એ બારણાં ખૂલી જશે તો શું થશે ?
0 comments
Leave comment